રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે. દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. બહેન ભાઈની કાંડે રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા કેટલી જૂની છે?
ઐતિહાસિક અને ગ્રંથોના સંદર્ભો પ્રમાણે, રક્ષાબંધનની પરંપરા વેદિક કાળથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે તે 3,000 વર્ષથી પણ વધુ જૂની છે. વેદો અને પુરાણોમાં 'રક્ષા સૂત્ર' અથવા 'રક્ષા' નો ઉલ્લેખ મળે છે. તે સમયે માત્ર ભાઈ-બહેન જ નહીં, પરંતુ પતિ-પત્ની, ગુરુ-શિષ્ય અને યુદ્ધમાં જતા યોદ્ધાઓને પણ રક્ષા માટે સૂત્ર બાંધવામાં આવતું હતું.
વેદિક કાળમાં રક્ષા સૂત્ર તરીકે સોનું અને મણિ (રત્ન) બાંધવાનો ઉલ્લેખ છે. તે સમયે લોકો દુષ્ટ શક્તિઓથી રક્ષણ મેળવવા, આરોગ્ય અને દીર્ઘાયુ માટે આવા તાવીજ બાંધતા હતા. આ પ્રથા કોઈ ખાસ બંધન નહોતી, પરંતુ એક રક્ષણ કવચ હતી. ભગવાન ઇન્દ્ર અને ઇન્દ્રાણીની કથા પ્રચલિત છે, જેમાં ઇન્દ્રાણીએ ઇન્દ્રને વિજય માટે રક્ષા સૂત્ર બાંધ્યું હતું. આ જ રીતે, ભવિષ્ય પુરાણમાં પણ રક્ષા સૂત્રના મહત્વનો ઉલ્લેખ છે.
ધીમે ધીમે આ પ્રથા ભાઈ-બહેનના પવિત્ર સંબંધ સાથે જોડાઈ ગઈ. ઈતિહાસમાં એવી કથાઓ છે કે રાણી કર્ણાવતીએ બાદશાહ હુમાયૂંને રાખડી મોકલીને મદદ માંગી હતી. જોકે, ઈતિહાસકારો આ ઘટનાને અલગ રીતે જોવે છે, પરંતુ લોકકથાઓમાં તે રક્ષાબંધનના મહત્વને દર્શાવે છે.
રક્ષાબંધનનો તહેવાર મુખ્યત્વે ભારતમાં ઉજવાય છે, પરંતુ વિશ્વભરમાં ભારતીય સમુદાયો તેને શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. આ દિવસે બહેનો ભાઈની કાંડે રાખડી બાંધે છે, મીઠાઈ ખવડાવે છે અને ભાઈ પોતાના રક્ષણનું વચન આપે છે. ગિફ્ટ અને સ્નેહનો આદાન-પ્રદાન થાય છે. ગુજરાતમાં પણ આ તહેવાર ઉત્સાહથી ઉજવાય છે.
રક્ષાબંધનનો મૂળ ભાવ ભાઈ-બહેન વચ્ચેનો અનોખો અને નિઃસ્વાર્થ પ્રેમ છે. તે પરિવારમાં એકતા અને પરસ્પર જવાબદારીની ભાવના જગાડે છે. આ તહેવાર આપણને યાદ કરાવે છે કે સાચું સુખ સંપત્તિમાં નહીં, પરંતુ સંબંધોના પવિત્ર બંધનમાં છે.