પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) હેઠળ દર વર્ષે ખેડૂતોને ₹6,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં દરેક ₹2,000 ના દરે ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર (DBT) દ્વારા મોકલવામાં આવે છે. જોકે, ઘણા ખેડૂતોને તાજેતરમાં પ્રકાશિત થયેલા હપ્તાની રકમ ન મળતાં તેઓ ચિંતામાં છે. સરકારે આ અંગે સ્પષ્ટતા કરતાં ત્રણ મુખ્ય કારણો જણાવ્યા છે, જેના કારણે લાભાર્થીઓની રકમ અટકી શકે છે.
PM-KISAN યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતે જરૂરી શરતો પૂરી કરવી ફરજિયાત છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતોની રકમ નથી આવી, તેમાં મોટા ભાગે નીચેનામાંથી કોઈ એક ખામી જવાબદાર છે.
પહેલું કારણ: ઈ-કેવાઈસી (e-KYC) અધૂરી
યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂતે પોતાની ઈ-કેવાઈસી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આ પ્રક્રિયા આધાર નંબર, બેંક ખાતું અને મોબાઈલ નંબર લિંક કરીને થાય છે. જે ખેડૂતોએ હજી સુધી ઈ-કેવાઈસી પૂર્ણ કરી નથી, તેમના હપ્તા અટકી જાય છે. સરકારે જણાવ્યું છે કે સૌથી વધુ ખેડૂતો આ જ કારણે રકમ મેળવવાથી વંચિત રહે છે.
બીજું કારણ: જમીન રેકોર્ડમાં ખામી
PM-KISAN યોજનાનો લાભ લેવા માટે ખેડૂતની ખેતીની જમીનનો રેકોર્ડ સરકારી ડેટાબેઝ સાથે સુસંગત હોવો જોઈએ. ઘણા કિસ્સામાં જમીણના વારસા, વહેંચણી અથવા સીમા વિવાદને કારણે લેન્ડ રેકોર્ડ અપડેટ નથી હોતા. જેના કારણે લાભાર્થીની ઓળખ ચકાસવામાં મુશ્કેલી ઊભી થાય છે અને રકમ મળતી નથી. સરકારે જમીન રેકોર્ડમાં ફેરફાર/સુધારો કરાવવાની સલાહ આપી છે.
ત્રીજું કારણ: બેંક ખાતું આધાર સાથે લિંક નથી
યોજનાની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ માટે બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે. જો ખેડૂતનું બેંક ખાતું આધાર સાથે લિંક નથી, અથવા ખાતાની માહિતી ખોટી છે, તો DBT ટ્રાન્સફર નિષ્ફળ જાય છે. સરકારે જણાવ્યું છે કે આવા કિસ્સામાં ખેડૂતે તાત્કાલિક પોતાની બેંક શાખામાં જઈને આધાર લિંકિંગ કરાવવું જોઈએ.
સરકારે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ પોતાની યોજનાની સ્થિતિ સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર ચકાસે. જો હપ્તો ન મળ્યો હોય, તો ઉપર દર્શાવેલી ખામીઓ તપાસીને તેને સુધારવી જોઈએ. સમસ્યાના નિરાકરણ માટે ટોલ-ફ્રી નંબર 155261 પર પણ સંપર્ક કરી શકાય છે.
યાદ રહે, PM-KISAN યોજના દેશના કરોડો ખેડૂતો માટે આર્થિક સહારાનું માધ્યમ છે. સરકાર દ્વારા ટેકનિકલ કારણોસર કોઈ પાત્ર ખેડૂતને આ યોજનાનો લાભ મળતો અટકે નહીં, તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોએ પોતાના દસ્તાવેજો અપડેટ રાખવા અને સમય સમય પર યોજનાની માહિતી ચકાસતા રહેવું જરૂરી છે.