વૈશ્વિક સ્તરે ખ્યાતનામ ધરાવતી ખાદ્ય બ્રાન્ડ્સ ભારતમાં પણ પોતાનાં ઉત્પાદનો વેચે છે. જો કે, ગ્રાહકોમાં વારંવાર ફરિયાદ સાંભળવા મળે છે કે સમાન બ્રાન્ડ અને પેકેજિંગ હોવા છતાં વિદેશ અને ભારતમાં વેચાતા ઉત્પાદનોની ગુણવત્તામાં તફાવત હોય છે. આ લેખમાં આ મુદ્દાની તપાસ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, ફેન્ટા, કિટકેટ, મેગી અને સેરેલેક જેવી બ્રાન્ડ્સમાં આ પ્રકારનો તફાવત જોવા મળ્યો છે. યુરોપમાં વેચાતા ફેન્ટામાં ફ્રૂટ જ્યુસનું પ્રમાણ વધુ અને ખાંડ ઓછી હોવાનું કહેવાય છે, જ્યારે ભારતમાં વેચાતા ફેન્ટામાં ખાંડ અને કૃત્રિમ રંગોનું પ્રમાણ વધુ હોવાના દાવા થાય છે.
કિટકેટની વાત કરીએ તો, ભારતમાં મળતી કિટકેટમાં કોકોનું પ્રમાણ માત્ર 4.5% હોવાનો દાવો છે, જ્યારે યુકે અને ઓસ્ટ્રેલિયામાં તે 22% કે તેથી વધુ હોવાનું જણાવાય છે. ભારતીય વર્ઝનમાં કોકોને બદલે વનસ્પતિ ચરબી અને ખાંડનો વધુ ઉપયોગ સામે આવ્યો છે.
મેગી નૂડલ્સ બનાવવામાં ભારતમાં મુખ્યત્વે પામ તેલનો ઉપયોગ થાય છે, જ્યારે બ્રિટનમાં સનફ્લાવર તેલ વપરાય છે. ઉપરાંત, બ્રિટન જેવા દેશોમાં વધુ સોડિયમ ધરાવતા ઉત્પાદનો પર ફરજિયાત ચેતવણી લેબલ હોય છે, પરંતુ ભારતમાં આ બંધન નથી.
સ્વિસ એનજીઓ પબ્લિક આઈના 2024ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે નેસ્લે યુરોપના દેશોમાં સુગર-ફ્રી બેબી ફૂડ વેચે છે, જ્યારે ભારત જેવા દેશોમાં સેરેલેકમાં સરેરાશ 3 ગ્રામ વધારાની ખાંડ ઉમેરતી હતી. આ વિવાદ બાદ કંપનીએ ભારતમાં સુગર-ફ્રી વેરિઅન્ટ લાવવાની ફરજ પડી હતી.
કંપનીઓ દલીલ કરે છે કે દરેક દેશના ગ્રાહકોની સ્વાદ પસંદગી, સ્થાનિક સંસાધનો અને ખરીદશક્તિ અલગ હોય છે, તેથી ઉત્પાદનમાં સ્થાનિક બજાર અનુસાર ફેરફાર કરવો પડે છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો માને છે કે ઉત્પાદન ખર્ચ ઘટાડીને નફો વધારવા માટે કંપનીઓ ભારતમાં સસ્તા ઘટકોનો ઉપયોગ કરે છે.
વિશ્વના ઘણા દેશોમાં પેકેજિંગની આગળની બાજુએ ચેતવણી લેબલ ફરજિયાત છે. ચિલી, મેક્સિકો અને બ્રાઝિલ જેવા દેશોમાં ઉચ્ચ ખાંડ, મીઠું અથવા સંતૃપ્ત ચરબી ધરાવતા ઉત્પાદનો પર લાલ ચેતવણી છાપવી પડે છે. ભારતમાં FSSAI દ્વારા 2017થી આ અંગે ચર્ચા ચાલે છે. તાજેતરમાં રજૂ થયેલા પ્રસ્તાવમાં ફ્રન્ટ-ઓફ-પેકેજ લેબલિંગને બદલે બ્લેક એન્ડ વ્હાઇટ ટેબલ અને સ્ટાર રેટિંગ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેનો આરોગ્ય નિષ્ણાતોએ વિરોધ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્યના અધિકારને કોર્પોરેટ નફા કરતાં વધુ પ્રાથમિકતા આપવી જોઈએ. આંતરરાષ્ટ્રીય ધોરણોને ભારતમાં પણ અમલમાં મૂકવા સંબંધિત નિર્દેશો આપવામાં આવ્યા છે.
ગ્રાહકો માટે સલાહ છે કે તેઓ ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે પેકેજ પર દર્શાવેલ ઘટકોની યાદી અને પોષણ માહિતી ધ્યાનથી વાંચે. સ્પષ્ટ લેબલિંગ નિયમો લાગુ કરવાથી ગ્રાહકોને સચોટ માહિતી મળી શકે અને છેતરપિંડી અટકાવી શકાય.