Because Every Second Is Breaking News.

દિલ્હીમાં H1N1ના 2,308 કેસ, શાળાઓ એલર્ટ પર; સરકારે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું

દિલ્હીમાં H1N1ના 2,308 કેસ, શાળાઓ એલર્ટ પર; સરકારે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું

દિલ્હીમાં H1N1 સ્વાઈન ફ્લૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, આ વર્ષે અત્યાર સુધીમાં 2,308 કેસ નોંધાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં H1N1ના વધતા કેસો તેમજ ડુંગળી અને ખાંડના ભાવવધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને મુદ્દે સરકારની આગામી રણનીતિ નક્કી કરવા માટે આ બેઠક યોજાઈ હતી.

સમીક્ષા બેઠકમાં આરોગ્ય વિભાગ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી), નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી) અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને દવાઓની પૂરતી વ્યવસ્થા છે. ઊંચા તાવ સાથે આવતા દર્દીઓ યોગ્ય સારવાર મેળવીને સાજા થઈ ઘરે પરત ફરી રહ્યા છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે ગભરાવાની જરૂર નથી.

સત્તાવાર આંકડા અનુસાર, દિલ્હીમાં આ વર્ષે ઈન્ફ્લુએન્ઝાના લગભગ 3,000 કેસ નોંધાયા છે. તેમાંથી H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના 2,308 કેસ છે. બાકીના કેસ ઈન્ફ્લુએન્ઝાના અન્ય પ્રકારોના છે. આરોગ્ય વિભાગે તમામ હોસ્પિટલોમાં શંકાસ્પદ અને ચેપગ્રસ્ત દર્દીઓ માટે વિશેષ આઈસોલેશન વોર્ડ તૈયાર કર્યા છે. જો કોઈ હોસ્પિટલ દર્દીને દાખલ કરવાની ના પાડશે અથવા બેડ ન હોવાની ફરિયાદ મળશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બાલે સ્પષ્ટતા કરી છે કે H1N1 કોઈ નવો વાયરસ નથી. વર્ષ 2009માં પેન્ડેમિક બનેલો આ વાયરસ દર વર્ષે સામાન્ય મ્યુટેશન સાથે આવે છે. હાલમાં ઈન્ફ્લુએન્ઝા-એના 97થી 98 ટકા કેસ H1N1ના છે. ઈન્ફ્લુએન્ઝા-બીના કેસ પણ જોવા મળી રહ્યા છે. કોવિડના કેસ ઘટી રહ્યા છે.

આઈસીએમઆરના જણાવ્યા અનુસાર, દરેક વ્યક્તિએ ફ્લૂની રસી લેવાની જરૂર નથી. માત્ર 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હાઈ-રિસ્ક દર્દીઓએ ડોક્ટરની સલાહ મુજબ રસીકરણ કરાવવું જોઈએ. બાળકો માટે તેને રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં સામેલ કરવાની હાલ જરૂર નથી. આ ઉપરાંત, કોવિડની જેમ દરેક વ્યક્તિએ લેબ ટેસ્ટ કરાવવો પણ ફરજિયાત નથી.

ઈન્ફ્લુએન્ઝા વાયરલ ઈન્ફેક્શન હોવાથી એન્ટિબાયોટિક્સ દવાઓ તેના પર અસરકારક નથી. માત્ર ગંભીર જોખમ ધરાવતા દર્દીઓને ડોક્ટરી સલાહ મુજબ ઓસેલ્ટામિવિર જેવી એન્ટિવાયરલ દવા આપવામાં આવે છે. 99 ટકાથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. તેઓ ઘરે આરામ કરવાથી જ સાજા થઈ જાય છે. તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

દિલ્હી શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને એલર્ટ કરવામાં આવી છે. બાળકોને તાવ કે શરદી હોય તો તેમને શાળાએ ન મોકલવા અને ડોક્ટરની સલાહ લેવા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં સ્વચ્છતા જાળવવા, હાથ ધોવા જેવી બાબતો પર ભાર મૂકાયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઈન્ફ્લુએન્ઝાથી બચવા માટે ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું, ઉધરસ કે છીંક વખતે મોઢા પર રૂમાલ રાખવો અને વારંવાર હાથ ધોવા જેવી સાવચેતી રાખવી જોઈએ.