ભારતમાંથી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જતા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. ઘણા પરિવારો તેમના બાળકોને ઉજ્જવળ ભવિષ્યનાં સપના સાથે વિદેશ મોકલે છે. પરંતુ સપનામાં ચમકતી કારકિર્દીની તસવીરો વાસ્તવિકતામાં ઉભરી આવે તે પહેલાં જ અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. હૈદરાબાદના એક યુવક સાથે આવું જ કંઈક બન્યું છે.
મૂળ હૈદરાબાદનો રહેવાસી સાઈ પ્રદીપ છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં સ્થાયી થવાના ઈરાદે રહેતો હતો. તેણે સાઉથ કેરોલિનાની એન્ડરસન યુનિવર્સિટી કોલેજ ઓફ બિઝનેસમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ડિગ્રી પૂરી કર્યા બાદ તેણે અમેરિકામાં જ નોકરી મેળવવાના પ્રયાસ કર્યા હતા. મહિનાઓની મહેનત છતાં તેને નોકરી મળી ન હતી. આ દરમિયાન તે માનસિક તણાવમાં હોવાનું પરિવારે જણાવ્યું છે.
આર્થિક દબાણ અને નોકરી ન મળવાની નિરાશાને કારણે સાઈ પ્રદીપે ટેક્સાસના સેન એન્ટોનિયો શહેરમાં ૨૧ ઓગસ્ટના રોજ પોતાનો જીવ લઈ લીધો. આ બનાવથી સ્થાનિક અને ભારતીય સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સાઈ પ્રદીપના મૃતદેહને હૈદરાબાદ લાવવા માટે તેની કઝિન દીપ્તિએ એક ફંડરેઝિંગ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ૩૫ હજાર ડોલર એકઠા કરવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધીમાં ૨૮ હજાર ડોલરથી વધુ રકમ ભેગી થઈ છે. અંતિમ સંસ્કાર અને અન્ય ખર્ચ બાદ બચતી રકમ તેના માતા-પિતાને આપવામાં આવશે.
દીપ્તિએ વધુ માહિતી આપતા કહ્યું કે સાઈ પ્રદીપ ૨૦૨૪માં અમેરિકા ગયો હતો. ત્યાં રહીને તેણે સ્પેનિશ ભાષા પણ શીખી લીધી હતી. તેની લિંક્ડઈન પ્રોફાઈલ પ્રમાણે, હૈદરાબાદમાં તેણે એમેઝોન કંપની સાથે કામ કરી ચૂક્યો હતો.
આ ઘટના વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની માનસિક અને આર્થિક સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે. વિઝા પ્રતિબંધો, નોકરીની અનિશ્ચિતતા અને પરિવારથી દૂર રહેવાનો એકલતાનો અનુભવ ઘણા યુવાનોને માનસિક રીતે ત્રાસ આપે છે. નિષ્ણાતો માને છે કે આવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ વ્યાવસાયિક મદદ લેવી જોઈએ અને પરિવાર સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ. સાથે સાથે, યુનિવર્સિટીઓ અને ભારતીય દૂતાવાસોએ પણ વિદ્યાર્થીઓ માટે સપોર્ટ નેટવર્ક વિકસાવવાની જરૂર છે.
આ દુર્ઘટનાએ ફરી એક વાર સાબિત કર્યું છે કે વિદેશમાં ભણવાનું સ્વપ્ન જેવું આકર્ષક લાગે છે, તે જોખમો અને પડકારોથી ભરેલું હોઈ શકે છે. જરૂર છે તો યોગ્ય માર્ગદર્શન અને ભાવનાત્મક ટેકાની, જેથી કોઈ પણ યુવક-યુવતી એકલા ન અનુભવે અને આવા કદમ ન ઉઠાવે.